બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ
સલાતુત્તસ્બીહ
*અહાદીસે શરીફહમાં સલાતુત્તસ્બીહની ઘણી ફઝીલત, બરકત અને તાસીર બયાન કરવામાં આવી છે.*
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (*રદિ.*) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (*સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ*) એ એક દિવસ પોતાના કાકા હઝરત અબ્બાસ ઈબ્ને મુત્તલિબ (*રદિ.*) ને ફરમાવ્યું :
હે અબ્બાસ ! હે માનવંત મારા કાકા ! શું હું આપની ખિદમતમાં એક મૂલ્યવાન ભેટ અને એક કિંમતી તોહફો પેશ કરું ?
શું હું આપને એક ખાસ, લાભદાયી વાત બતાવું ? શું હું આપને દસ કામ અને આપની દસ ખિદમતો કરું ?
( *અર્થાત્ આપને એક એવો અમલ બતાવું, જેનાથી આપને દસ મહાન લાભો પ્રાપ્ત થાય, તે એવો અમલ છે કે*)
જયારે આપ તેને કરશો તો અલ્લાહ તઆલા આપના તમામ ગુનાહો માફ કરી દેશે : આગલા પણ અને પાછલા પણ , જુના પણ અને નવા પણ, ભૂલચૂકથી થયેલા પણ અને ઈરાદાપૂર્વક કરેલાં પણ, નાના પણ અને મોટા પણ, છાની રીતે થયેલા પણ અને છડેચોક - જાહેરમાં થયેલાં પણ,
( *તે અમલ સલાતુત્તસ્બીહ છે. અને તેની રીત આ છે કે*)
*પહેલો તરીકો*
આપ (*એક સલામથી*) ચાર રકા'ત પઢો અને દરેક રકા'તમાં સૂરએ ફાતિહા અને બીજી સૂરહ પઢો.
• પછી જયારે આપ પહેલી રકા'તમાં કિરા' તથી ફારિંગ થઈ જાઓ તો કિયામની હાલતમાં (*રુકૂઅ પહેલાં*) પંદર વાર આ (*શબ્દો*) પઢો :
*સુબ્હાનલ્લાહિ વલ્હમદુ લિલ્લાહી વલા ઈલા - હ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર.*
ત્યાર બાદ રુકૂઅ કરો અને રુકૂઅમાં પણ (*રુકૂઅની તસ્બીહ પછી*) આ જ કલિમાત દસ વાર પઢો.
• પછી રુકૂઅથી ઊઠીને કવ્મહમાં પણ (*ઊભા ઊભા*) આ જ કલિમાત દસ વાર પઢો.
• પછી સિજદામાં ચાલ્યા જાઓ અને સિજદામાં પણ (*સિજદાની તસ્બીહ પછી*) આ કલિમાત દસ વાર પઢો.
• પછી સિજદાથી ઊઠીને જલસામાં (*અલ્લાહુ અકબર કહ્યા પછી બેઠા બેઠા*) આ કલિમાત દસ વાર પઢો.
પછી બીજા સિજદામાં પણ આ જ કલિમાત દસ વાર પઢો.
પછી (*બીજા*) સિજદામાંથી ઊઠીને (*બેસી જાઓ અને ઊભા થતા પહેલાં, જલસામાં*) પણ આ જ કલિમાત દસ વાર પઢો.
એ પછી તકબીર કહ્યા વગર બીજી રકા'ત માટે જલસહમાંથી ઊભા થઈ જાઓ અને કિયામ કરો) આ તરતીબથી આ કલિમાત દરેક રકાતમાં પંચોતેર (*૭૫*) વખત પઢો અને આ રીતે ચાર રકા'ત (*માં ત્રણ સો વખત*) પઢો. (આ તરતીબ બતાવ્યા પછી આપ (*સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ*) ફરમાવ્યું : હે મારા કાકા જાન ! જો આપથી બની શકે તો દરરોજ આ નમાઝ પઢયા કરજો. જો દરરોજ ન પઢી શકાય તો જુમ્માના દિવસે (*અર્થાત્ અઠવાડિયામાં એકવાર*) પઢયા કરજો. જો આ પણ અશક્ય હોય તો મહિનામાં એકવાર પઢજો અને જો આ પણ અશક્ય હોય તો વર્ષમાં એકવાર પઢજો અને જો એ પણ શક્ય ન હોય તો કમસે કમ આખા જીવનમાં એક વાર તો અવશ્ય પઢજો જ પઢજો.
*સલાતુત્તસ્બીહનો બીજો તરીકો*
આ નમાઝ પઢવાનો બીજો તરીકો આ છે કે પહલી રકા'તમાં સના પછી અને સૂરએ ફાતિહા પહેલા મજકૂર કલિમાતને પંદર વખત પઢે. પછી સૂરએ ફાતિહા અને બીજી સૂરહ પઢયા પછી દસ વખત પઢે. પછી રુકૂઅમાં આ જ તસ્બીહ દસ વખત, કવમ્હમાં દસ વખત, બંને સિજદાઓમાં અને બંને સિજદાઓ દરમિયાન દસ-દસ વખત પઢે. આ એક રકા'ત થઈ ગઈ. બીજી રકા'તમાં સૂરએ ફાતિહાથી પહેલાં પંદર વખત સૂરએ ફાતિહા તથા બીજી સૂરહ પછી પછી દસ વખત પઢે. પછી પહેલી રકા'તની જેમ બીજા મકામાત (*સ્થળો*) માં દસ-દસ વખત પઢે. આજ પ્રમાણે ત્રીજી અને ચોથી રકા'ત પણ પઢે.
આ બંને તરીકા તિરમિઝી શરીફ (*૧/૬૩-૬૪*) માં મવજૂદ છે . જેનું જે રીતે મન ચાહે તે રીતે પઢે. ઉલમાએ કિરામે લખ્યું છે કે બંને તરીકાઓ પર અમલ કરી લેવો બેહતર છે. હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મુબારક (*રહ.*) જે ઈમામ અબૂ હનીફા (*રહ.*) ના શાગિર્દ અને ઈમામ બુખારી (*રહ.*) ના ઉસ્તાઝોના ઉસ્તાઝ છે તેઓ આ નમાઝને આ બીજા નંબરે વર્ણવાયેલા તરીકા અનુસાર પઢયા કરતા હતા.
*નિય્યત : હું અલ્લાહ તઆલાના વાસ્તે સલાતુત્તસ્બીહની ચાર રકા'ત નફલ નમાઝ પઢવાની નિય્યત કરું છું, રુખ મારુ કિબલા તરફ, અલ્લાહુ અકબર.