સલાતુત્તસ્બીહ ની નમાઝ પઢવાનો તરીકો શું છે

 બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ 


સલાતુત્તસ્બીહ 


*અહાદીસે શરીફહમાં સલાતુત્તસ્બીહની ઘણી ફઝીલત, બરકત અને તાસીર બયાન કરવામાં આવી છે.*


હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (*રદિ.*) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (*સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ*) એ એક દિવસ પોતાના કાકા હઝરત અબ્બાસ ઈબ્ને મુત્તલિબ (*રદિ.*) ને ફરમાવ્યું :


હે અબ્બાસ ! હે માનવંત મારા કાકા ! શું હું આપની ખિદમતમાં એક મૂલ્યવાન ભેટ અને એક કિંમતી તોહફો પેશ કરું ? 


શું હું આપને એક ખાસ, લાભદાયી વાત બતાવું ? શું હું આપને દસ કામ અને આપની દસ ખિદમતો કરું ? 


( *અર્થાત્ આપને એક એવો અમલ બતાવું, જેનાથી આપને દસ મહાન લાભો પ્રાપ્ત થાય, તે એવો અમલ છે કે*)


 જયારે આપ તેને કરશો તો અલ્લાહ તઆલા આપના તમામ ગુનાહો માફ કરી દેશે : આગલા પણ અને પાછલા પણ , જુના પણ અને નવા પણ, ભૂલચૂકથી થયેલા પણ અને ઈરાદાપૂર્વક કરેલાં પણ, નાના પણ અને મોટા પણ, છાની રીતે થયેલા પણ અને છડેચોક - જાહેરમાં થયેલાં પણ,


 ( *તે અમલ સલાતુત્તસ્બીહ છે. અને તેની રીત આ છે કે*)


          *પહેલો તરીકો*


આપ (*એક સલામથી*) ચાર રકા'ત પઢો અને દરેક રકા'તમાં સૂરએ ફાતિહા અને બીજી સૂરહ પઢો.


• પછી જયારે આપ પહેલી રકા'તમાં કિરા' તથી ફારિંગ થઈ જાઓ તો કિયામની હાલતમાં (*રુકૂઅ પહેલાં*) પંદર વાર આ (*શબ્દો*) પઢો :


*સુબ્હાનલ્લાહિ વલ્હમદુ લિલ્લાહી વલા ઈલા - હ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર.*


ત્યાર બાદ રુકૂઅ કરો અને રુકૂઅમાં પણ (*રુકૂઅની તસ્બીહ પછી*) આ જ કલિમાત દસ વાર પઢો.


• પછી રુકૂઅથી ઊઠીને કવ્મહમાં પણ (*ઊભા ઊભા*) આ જ કલિમાત દસ વાર પઢો.


• પછી સિજદામાં ચાલ્યા જાઓ અને સિજદામાં પણ (*સિજદાની તસ્બીહ પછી*) આ કલિમાત દસ વાર પઢો.


• પછી સિજદાથી ઊઠીને જલસામાં (*અલ્લાહુ અકબર કહ્યા પછી બેઠા બેઠા*) આ કલિમાત દસ વાર પઢો.


પછી બીજા સિજદામાં પણ આ જ કલિમાત દસ વાર પઢો.


પછી (*બીજા*) સિજદામાંથી ઊઠીને (*બેસી જાઓ અને ઊભા થતા પહેલાં, જલસામાં*) પણ આ જ કલિમાત દસ વાર પઢો.


એ પછી તકબીર કહ્યા વગર બીજી રકા'ત માટે જલસહમાંથી ઊભા થઈ જાઓ અને કિયામ કરો) આ તરતીબથી આ કલિમાત દરેક રકાતમાં પંચોતેર (*૭૫*) વખત પઢો અને આ રીતે ચાર રકા'ત (*માં ત્રણ સો વખત*) પઢો. (આ તરતીબ બતાવ્યા પછી આપ (*સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ*) ફરમાવ્યું : હે મારા કાકા જાન ! જો આપથી બની શકે તો દરરોજ આ નમાઝ પઢયા કરજો. જો દરરોજ ન પઢી શકાય તો જુમ્માના દિવસે (*અર્થાત્ અઠવાડિયામાં એકવાર*) પઢયા કરજો. જો આ પણ અશક્ય હોય તો મહિનામાં એકવાર પઢજો અને જો આ પણ અશક્ય હોય તો વર્ષમાં એકવાર પઢજો અને જો એ પણ શક્ય ન હોય તો કમસે કમ આખા જીવનમાં એક વાર તો અવશ્ય પઢજો જ પઢજો.


*સલાતુત્તસ્બીહનો બીજો તરીકો*


આ નમાઝ પઢવાનો બીજો તરીકો આ છે કે પહલી રકા'તમાં સના પછી અને સૂરએ ફાતિહા પહેલા મજકૂર કલિમાતને પંદર વખત પઢે. પછી સૂરએ ફાતિહા અને બીજી સૂરહ પઢયા પછી દસ વખત પઢે. પછી રુકૂઅમાં આ જ તસ્બીહ દસ વખત, કવમ્હમાં દસ વખત, બંને સિજદાઓમાં અને બંને સિજદાઓ દરમિયાન દસ-દસ વખત પઢે. આ એક રકા'ત થઈ ગઈ. બીજી રકા'તમાં સૂરએ ફાતિહાથી પહેલાં પંદર વખત સૂરએ ફાતિહા તથા બીજી સૂરહ પછી પછી દસ વખત પઢે. પછી પહેલી રકા'તની જેમ બીજા મકામાત (*સ્થળો*) માં દસ-દસ વખત પઢે. આજ પ્રમાણે ત્રીજી અને ચોથી રકા'ત પણ પઢે.


આ બંને તરીકા તિરમિઝી શરીફ (*૧/૬૩-૬૪*) માં મવજૂદ છે . જેનું જે રીતે મન ચાહે તે રીતે પઢે. ઉલમાએ કિરામે લખ્યું છે કે બંને તરીકાઓ પર અમલ કરી લેવો બેહતર છે. હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મુબારક (*રહ.*) જે ઈમામ અબૂ હનીફા (*રહ.*) ના શાગિર્દ અને ઈમામ બુખારી (*રહ.*) ના ઉસ્તાઝોના ઉસ્તાઝ છે તેઓ આ નમાઝને આ બીજા નંબરે વર્ણવાયેલા તરીકા અનુસાર પઢયા કરતા હતા.


*નિય્યત : હું અલ્લાહ તઆલાના વાસ્તે સલાતુત્તસ્બીહની ચાર રકા'ત નફલ નમાઝ પઢવાની નિય્યત કરું છું, રુખ મારુ કિબલા તરફ, અલ્લાહુ અકબર.

Imran Patel

Learn the essentials of Islamic knowledge in this detailed blog post. We dive into the key concepts, history, and modern relevance of Islamic teachings

વધુ નવું વધુ જૂનું